- મોટાભાગના યુવાનો AI ની ભ્રામક વાતોથી ચોંકી ગયા છે
- આ ક્ષેત્રની પૂરી સમજ જરૂરી
- મશીન લર્નિંગ અને એઆઈ ટૂલ્સ સાથે કામ કરતાં શીખશો તો, કરિયર કિંગ બની શકશો
આપણી આસપાસના લોકોમાં અને ખાસ કરીને કરિયર કે નોકરી બાબતે સજાગ લોકો આજકાલ આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સથી ચોંકી ગયા છે. તેઓ માને છે કે, નજીકના ભવિષ્યમાં આ ફિલ્ડ મોટાભાગના નોકરીયાતોને નવરા અને બેકાર કરી નાંખશે. જો કે, આ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાત કરતાં ખબર પડે છે કે, ખરેખર કશી ચિંતા કરવા જેવું નથી. ક્યારેક કમ્પ્યુટર, નેટવર્કીંગ અને આઈટીની ભારે માંગ હતી, એમ જ હવે એઆઈને સમજતાં અને તેની સાથે કામ કરી શકતા લોકોની ડિમાંડ વધવાની છે.
સુરતની નર્મદ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં વર્ષોથી સેવારત અપૂર્વ દેસાઈ કહે છે કે, એઆઈ અને તે અંતર્ગત આવતા મશીન લર્નિંગ જેવા વિષયો ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે, અને ખૂબ થોડા સમયમાં માનવજીવનને સંકળાયેલું કોઈપણ ક્ષેત્ર તેનાથી છેટું નહીં રહે.
દેસાઈ સાહેબ કહે છે કે, છેવટે તો કમ્પ્યુટર્સ સાથે જ સંકળાયેલું આ એક એવું ફિલ્ડ છે, જે કાર, વોશિંગમશીન, કે ઘરની કોઈપણ સિસ્ટમને માનવમગજની જેમ વિચારતાં શીખવે છે, તેથી તેને મશીન લર્નિંગ કહે છે. ચેટ જીપીટી પણ આ પ્રકારનું એક મશીન લર્નિંગ ટૂલ છે. આ પ્રકારમાં નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગની મદદથી માણસ જે ભાષા બોલે છે, કે સમજે છે, એ ભાષામાં જ મશીનને તૈયાર કરવામાં આવે છે. આવા મશીનને જવાબ આપવા માટે ગણતરી કરવા માટે કે અન્ય પ્રકારે તાલીમ કરી શકાય. તેને શબ્દો-ભાષા કે ડોક્યુમેન્ટ્સનું ઈનપુટ પણ આપી શકાય. ડ્રાઈવરલેસ કાર પણ આવા પ્રકારના ટ્રેઈન્ડ એઆઈની જ દેન છે. ચેટ જીપીટી પ્રકારના ટૂલ્સ પણ ટેક્સ્ટને પારખી લે છે અને ભાષામાં નેગેટિવિટી છે કે, પોઝિટિવિટી છે.
જો કે, આ તમામને લીધે નોકરી કે રોજગારની તકોને કોઈ ખતરો નથી. ક્યારેક જે પ્રકારે કમ્પ્યુટર ફિલ્ડની જોબ મળતી હતી, તે પણ ઓછી નહીં થાય બલકે હવે એઆઈ અને મશીન લર્નિંગની સ્કીલ્સ અને એક્સપર્ટીઝને પણ ઈનકોર્પોરેટ કરાતી હોવાથી આ ક્ષેત્રના જાણકારોની માંગ વધવાની છે. આમ જે યુવાનો એઆઈની ભ્રામક વાતોથી ગભરાય છે, તેમને આ સાથે મેસેજ છે કે, એઆઈના આગમનથી ગભરાવું નહીં અને એઆઈની તાલીમ લઈને કરિયર અને સ્પર્ધા માટે સજ્જ રહેવું.
ડેટા પુશ પછી હવે ડેટા પૂલનો સમય
એઆઈ અને તે દ્વારા ભાવિ સંભાવનાઓ બાબતે ડો દેસાઈ કહે છે કે, ભવિષ્યમાં તમને કેવો અને ક્યારે રોગ થઈ શકે તેની માહિતી મેળવી શકાશે, એટલું જ નહીં પણ લોન લેનાર વ્યક્તિ લોન ભરપાઈ કરશે કે નહીં તેનો ખ્યાલ પણ એઆઈથી આવી જશે. ત્યાં સુધી કે, વ્યક્તિ આર્ટીફિશ્યલ બ્રેઈન ઉપયોગમાં લઈને પોતાની બુદ્ધિ વધારી શકશે. અમુક પ્રકારનું ડિવાઈસ પહેરીને માણસ પોતાનો આઈક્યુ પણ વધારી શકશે. પ્રાણીઓમાં આ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે.